માળીયા : ખાખરેચી ખાતે મોરબી જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે

૨૬ મી જાન્યુઆરી-૨૦૨૪ની ઉજવણીના આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ

આગામી પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરી-૨૦૨૪ ની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી માળીયા તાલુકાના ખાખરેચી ગામ ખાતે શાનદાર રીતે કરવામાં આવનાર છે.  આ રાષ્ટ્રીયપર્વની ઉજવણીની તૈયારીઓ અંગે મોરબી કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

પ્રજાસત્તાક મહાપર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને ગરીમાભેર થાય તેવું આયોજન કરવા, પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન, પોલીસ પરેડનું નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોઇપણ ક્ષેત્રમાં વિશિષ્ટ કામગીરી કરી હોય તેવા જિલ્લાના વ્યક્તિઓનું સન્માન, સરકારી ઈમારતો પર રોશની અને શણગાર, વૃક્ષારોપણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવા સુચના આપવામાં આવી હતી.

બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષકશ્રી ચિરાગ અમીન, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, સહિત સબંધિત કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.