આદર્શ આચાર સંહિતાનો ભંગ ન થાય તે માટે વિવિધ માધ્યમોએ કરેલા પ્રસારણની સીડી રજૂ કરવી પડશે

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. પ્રવર્તમાન ચૂંટણી દરમિયાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ટેકેદારો તરફથી ઈલેકટ્રોનીક મીડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજ્ય, આંતર રાજ્ય કે આંતર રાષ્ટ્રીય તેમજ AM અને FM રેડીયો નેટવર્ક, સિનેમાગૃહોનો પ્રચાર માટે ઉપયોગ કરવાથી આદર્શ આચાર સંહિતા કે જાહેરનામાનો ભંગ ન થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા અનુસાર સ્થાનિક કેબલ ટીવી નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમાગૃહો, AM તથા FM રેડીયો, દુરદર્શન કેન્દ્ર, આકાશવાણી કેન્દ્ર, વિવિધ ભારતી પ્રસારણ વગેરે દ્વારા ઈલેકટ્રોનીક પ્રસાર માધ્યમ તરીકે તેઓ તરફથી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પુરી થતાં સુધીના સમયગાળા દરમિયાન પ્રત્યેક દિવસે સવારના ૦૬:૦૦ કલાકથી બીજા દિવસના સવારના ૦૬:૦૦ કલાક સુધીમાં કરવામાં આવેલ પ્રસારણની પ્રત્યેક સીડી બીજા દિવસે સવારના ૧૦:૩૦ કલાક સુધીમાં જિલ્લા કક્ષાની મીડીયા સર્ટીફીકેશન એન્ડ મોનીટરીંગ કમીટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકશ્રી, મોરબીની કચેરી, રૂમ નં. ૨૨૫-૨૨૮, જિલ્લા સેવા સદન ખાતે રૂબરૂ પહોંચાડી, સી.ડી. પહોંચાડયા બદલ પહોંચ મેળવી રેકોર્ડમાં જાળવવાની રહેશે. જરૂરિયાતના પ્રસંગે ર૪ કલાક પુરા થતાં પહેલા પણ કરવામાં આવેલ પ્રસારણની સી.ડી. માંગવામાં આવે તો રજુ કરવાની રહેશે.

આ જાહેરનામુ તા.૧૫/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે