મોરબી જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણી સંદર્ભે વિવિધ કાર્યક્રમો યોજાશે

૪ તબક્કામાં જનજાગૃતિ સાસુ-વહુ મીટીંગ, ઘરે-ઘરે મુલાકાત કુટુંબ નિયોજનની સેવાઓ સહિત વિવિધ આયોજનો કરાશે, ‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિની શાન’

મોરબી જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય શાખા દ્વારા વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવાય તેવા હેતુથી મોરબી જિલ્લામાં દ્વારા ૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી અંન્વયે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

૧૧ જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતૃત્વ હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં જનજાગૃતિ અર્થે વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવશે. સમગ્ર જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અર્બન હેલ્થ સેન્ટરમાં ૧૧ જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવશે. જેમાં વસ્તી નિયંત્રણ માટે કુટુંબમાં જનજાગૃતિ કેળવવા ચાર તબક્કામાં કાર્યક્રમો યોજાશે.

     વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪ ની થીમ ‘માતા અને બાળક ની સુખાકારી માટે ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર’ રાખવામાં આવી છે. જ્યારે વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૪ માટેનું સૂત્ર ‘વિકસિત ભારતની નવી પહેચાન, કુટુંબ નિયોજન દરેક દંપતિ ની શાન’ રાખવામાં આવ્યું છે. આ સ્લોગન હેઠળ આ વર્ષ ચાર તબક્કા માં આ ઉજવણી કરવામાં આવશે. કુટુંબ નિયોજન માટે દંપતિઓ સાથે સંવાદ કરવામાં આવશે.

     આ સંવાદમાં વધતી જતી વસ્તીથી ઉભા થતા પ્રશ્નો અંગે જાણકારી, સ્વાસ્થ્ય અને સલામતીના હેતુથી પુખ્ત વયની ઉમરે લગ્ન કરવા તથા બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવું, બે બાળક વચ્ચે જરૂરી સમયગાળો, કુટુંબ નિયોજનમાં પુરુષોની ભાગીદારી, કાયમી પધ્ધતિમાં નસબંધીની સેવાઓ વગેરે બાબતોની જાણકારી આપવામાં આવશે. ઉપરાંત બાળ તથા માતાના મૃત્યુ દર ઘટાડવા માટે જાગૃતિ કેળવવામાં આવશે.

        તા.૨૦ જુન થી શરૂ થયેલ તબક્કા દરમિયાન પ્રચાર પ્રસાર અંગેની સામગ્રીનું વિતરણ, આરોગ્ય કર્મચારીઓને તાલીમ તેમજ આંતર-ક્ષેત્રીય કન્વર્ઝન જાગ્રતિ અને પ્રચાર સહિતની કરવામાં આવી રહી છે. બીજા તબક્કામાં કુટુંબ નિયોજનના મહત્વ વિષે જનજાગૃતિ લાવવા માટે સાસુ-વહુ મીટીંગ, ઘરે-ઘરે મુલાકાત સોશિયલ મીડિયા અને અન્ય ડીઝીટલ પ્લેટફોર્મ દ્વારા જાગૃતિ અભિયાન, રેલી, બેનર્સ, પોસ્ટર, પત્રિકા વગેરે દ્વારા લોકોન જાગૃત કરવામાં આવશે. ત્રીજા તબક્કામાં ગર્ભ નિરોધક તેમજ કુટુંબ નિયોજનની સેવાઓ પૂરી પાડવામાં પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. જ્યારે ચોથા તબક્કામાં કુટુંબ નિયોજનની સારી કામગીરી કરનારને પોત્સાહન એવોર્ડ વિતરણ કામગીરી કરવામાં આવશે. એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવેની યાદીમાં જણાવવામાં આવ્યું છે.