મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબીમાં સો-ઓરડી ખાતે બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12 અને ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, ડો.બાબા સાહેબના જીવન ચરિત્ર અંગેની બુક્સ સાથે સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે MD રિટાયર્ડ સિવિલ સર્જન ડો. એમ.બી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણ, નાયબ મામલતદાર શૈલેષભાઈ રાઠોડ, નાયબ મામલતદાર ગીરીશભાઈ બોસિયા, પીજીવીસીએલ શંકરભાઈ પરમાર, ડો.મુકેશભાઈ એન.વાણીયા, ડો. નટવરભાઈ સી.સોલંકી, ડો.પરેશ પારીયા, ડો.સુરજ ડી.ઝાલા, ડો.વિશાલ ડી.ઝાલા, કેશવલાલ આર.ચાવડા (રિટાયર્ડ આસી. કમિશ્નર), નાનજીભાઈ એચ. બોસીયા (રિટાયર્ડ પોલીસ વિભાગ), દેવજીભાઈ એમ.મકવાણા (રિટાયર્ડ મોરબી નગરપાલિકા, ગોરાભાઈ બોસીયા (રિટાયર્ડ તલાટી મંત્રી), નારણભાઇ આર.સોલંકી (રિટાયર્ડ C.B.I એક્સ.આર્મી), રાઘવજીભાઈ આર.પરમાર (રિટાયર્ડ C.I.S.S), જીવણભાઈ આર.સોલંકી (રિટાયર્ડ નેવી) સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે બિલીવ ફાઉન્ડેશનના પ્રમુખ આકાશભાઈ પરમારે જણાવ્યું હતું કે, શિક્ષણ એ જ સમાજ અને વ્યકિતના જીવન ઘડતર માટેનું એક મહત્ત્વનું પરિબળ છે. પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે રસ દાખવી સમાજની ભાવી પેઢીને ઉચ્ચ શિક્ષણની યોગ્ય દિશા મળે રહે તેમજ સમાજના બાળકો પ્રોત્સાહિત, સમાજમાં શૈક્ષણિક જાગૃતિ માટે ડો.બાબા સાહેબ તથા રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફુલેના વિચારોને આગળ વધારવા માટે આ વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું.