
તા. 27/02/2026ના રોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સી.ડી.એમ.ઓ. પ્રદીપભાઈ કે. દુઘરેજીયાની ઉપસ્થિતિમાં તેમજ નરેન્દ્રમોદી વિચાર મંચના મોરબી જિલ્લા પ્રમુખ ચાંદનીબેન મણીયારના માર્ગદર્શન હેઠળ કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવિંગ વિથ એચ.આઈ.વી./એઈડ્સ સંસ્થા દ્વારા હોળી ઉત્સવ નિમિત્તે સેવાકીય કાર્યક્રમ યોજાયો હતો.
સિવિલ હોસ્પિટલના એ.આર.ટી. સેન્ટર ખાતે પી.એલ.એચ.આઈ.વી. ગંગાસ્વરૂપ બહેનો, સગર્ભા બહેનો તેમજ બાળકોને ઘાણી, ખજૂર, ફરસાણ, મીઠાઈ, કલર અને પીચકારીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન એ.આર.ટી. વિષયક માર્ગદર્શન અને તબીબી સહાય અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.કરુણા ફાઉન્ડેશન દ્વારા હવે મોરબી જિલ્લામાં દર મહિને રાશન કિટ આપવાનો આયોજન હાથ ધરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના દાતાશ્રી સિરામિક પરિવાર તથા સ્થાનિક દાતાઓના સહકારથી આ સેવા કાર્ય સફળ બન્યું હતું.
સંસ્થાએ દાતાશ્રીઓને નમ્ર વિનંતી કરી છે કે મોરબી જિલ્લામાં એચ.આઈ.વી. પીડિત પરિવારોને સહાય માટે દર મહિને રાશન કિટ સપોર્ટ આપવા આગળ આવે.
કાર્યક્રમમાં સભ્યો તરીકે શ્રી રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઈ નિમાવત, આશાબેન વિશોડીયા, ભાવનાબેન ચાવડા, હીનાબેન બારોટ અને ઉષાબેન બોડા હાજર રહ્યા હતા.






